દિવાળી….

ભારત દેશ. ગમ્મે તેટલી અવગડ હોવા છતાં; એ તો માનવું જ પડે કે, આ દેશ ઉત્સવ પ્રિય તો ખરો. દરેક ઋતુ માટે ખાસ ઉત્સવ મૂકી ગયા છે વડવાઓ આપણા માટે. કુદરતના બદલાવના “પગરવ”ને સહર્ષ વધાવી લેવાનો પ્રસંગ એટલે જ તો આ ઉત્સવ. જેને પ્રતાપે વ્યક્તિને પણ પોતાની ફાસ્ટ લાઈફમાંથી થોડો સમય પોરો ખાવાને મળી રહે છે. ટૂંકમાં કહું તો, ઉત્સવો વ્યક્તિ માટેના પેટ્રોલ પમ્પ ( હા ભાઈ, ગેસ સ્ટેશન બસ..!) જ ગણાય! ભાગી દોડીને થાકી ચૂકેલાં જીવતરમાં દુનિયા નામના ઉબડખાબડ, અન-ઇવન રસ્તા સામે જીંક જીલી શકે એ માટે નવા જોમ નવા ઉત્સાહના રીફીલીંગ, સર્વીસીંગ, કરવાના સ્ટેશન એટલે જ આ ઉત્સવો…!

ને એમાંય દિવાળી એટલે તો ગેસ સ્ટેશન વિથ શોપિંગ મોલ….! પાંચ દિવસનો ફૂલ ટૂ ફટાક ઉત્સવ. અવનવા તદ્દન નવા વસ્ત્રોના મલ્ટીપ્લેકસ. કામધંધા અને ભણવામાંથી મરજી હોય એ દુકાનમાં ઘુસવા જેવી આઝાદી. બાળકો કે ઇવન મોટેરાં સાથે પણ મસ્તીથી રમી શકાય એવા ક્રિકેટ, બેડમિન્ટન, લખોટી, આંધળો પાટો, સ્ટોપ-બોચી જેવી રમતોનો ગેમિંગ ઝોન. એકની એક ઘરેડ પ્રકારની રસોઈમાંથી છુટકારો અને ખાસ દિવાળીએ બનતા ફાફડા, મઠીયા કે ઘૂઘરા મગસના મેક, સબ-વે કે કોફી-ડેના સટાકા. ટોટલ રીફ્રેશમેન્ટ. ૧૦૦% એન્ટરટેઇનિંગ. હા ભાઈ, આ બધા પાછળ શોપિંગ મોલમાં થાય છે એથીય વધુ ખર્ચો થાય! બટ ઇટ્સ એક્સેપ્ટેબલ અગેઇનસ્ટ ધ ફન.

વાસ્તવમાં તો, એ એક રાત એક સામાન્ય રાતથી વિશેષ કશું નથી. હા, અમાસની હોવાથી થોડીક વધુ અંધકારમય ઉદાસીન લાગે પણ એય સ્વાભાવિક જ. ને, આમ જુઓ તો.. એ રાત વડે એક આખું વર્ષ હતું ન હતું થઇ જાય છે, ભૂતકાળ બની જાય છે.. દિવાળી…. આસો વદ અમાસની રાત. ભગવાન રામના વનવાસ પૂર્ણ થયાની રાત. પ્રભુ મહાવીરના નિર્વાણની રાત. જૂના ને સ્થાને નવા વર્ષના બદલાવની રાત. જૂની યાદો, પ્રસંગો, દુઃખો, ગમગીનીઓ, વેદનાઓ, ખુશીઓ, આનંદો_સઘળાને ભૂતકાળની દાબડીમાં પેક કરવાની રાત. નવા ઉમંગો, નવી જિંદગી, નવા સમીકરણો, નવા વિચારો, નવી શક્યતાઓ સઘળી નવીનતાના “પગરવ”ને બિરદાવવાની રાત.

આટલાં બધા વખાણ પછી’ય જો ખોડખાંપણ ના કાઢીએ તો, અમારું નામ બદલવું પડે યારો..! શું છે કે, સ્વભાવ પેલ્લેથી જ આવો કચકચિયો. ચોરીમાં બેઠેલા ત્યારે’ય પંડિતને કીધેલું, “મંત્રો હાચા ભણજો.. પેહલી વારનું છે, કઈ ઊંચુંનીચું થ્યુ ને ફરી ઘોડે ચડવાનું આયુ તો, એ બીજા લગ્નનો આખો ખર્ચો તારી જોડે વશુલ કરે!” પંડિત તો રાભાની જેમ મારું ડાચું જોવા માંડ્યો. ત્યારે ભાવી ભાર્યાએ વાત વાળી લેતાં કીધું, “ટેન્શન ના લો પંડિતજી, આ ‘ડફોળ’ મને છોડશે નહિ!” (હાસ્તો છે….ક ત્યારના એ મને ઓળખી ગયેલાં..!! ) ને પંડીતના હાવભાવ પરથી લાગેલું બેનબા ખોટી જગ્યાએ ભરાયા લાગે છે! આજે’ય બાપડો દર રક્ષાબંધને ફોન કરે છે…!!

સોરી..સોરી..ગાડી જરા આડે પાટે આઈ મીન ટૂ સે, રીવર્સમાં જતી રહી. હા, તો ક્યાં હતા?? ઓહ્હ યસ.. દિવાળીની ખોડખાંપણ…. સોનાની થાળીમાં લોઢાની મેખ જેવી એક જ વાત…..સાલ્લું દિવાળીમાં ઘેર રોટલી કેમ નથી બનતી??! કહે છે, એ પાંચ દિવસ (પહેલાં તો છેક લાભ પાંચમ સુધી, આ સજા રહેતી, કાળક્રમે સાબરમતી મધ્યસ્થ જેલમાં આઈ પી એસ સંજીવ ભટ્ટની મ્ધ્યસ્થીથી સુધારણા આવ્યા એમ, આમારી આ સજામાં સગવડ નામના તત્વે મધ્યસ્થી કરી અને સજા ભાઈ બીજ સુધી સીમિત થઇ…. હાશ) તવી ન મૂકાય..! સાલ્લું, પાંચ દિવસ બહારનું ખાઈએ તો બાકીનો આખો મહિનો આર્થિક અને શારીરિક બંને રીતે રોટલીને લાયક ન રહીએ.

વડલાઓએ આ નિયમ બનાવેલો જેની પાછળ મારી સમજણ એવું કહે છે કે, એ સાફસફાઈ, ઘરકામ, સાજ-સજાવટ, નાસ્તા-પાણીની વ્યવસ્થા પછી ‘ગૃહલક્ષ્મી’ થાકી જાય એટલે, એમને પણ એટલીસ્ટ રૂટીન રસોઈમાંથી તો આરામ મળવો જોઈએ. ડોહા હાચા હતા અને હશે ય ખરા… પણ, એમાં તો આપણાં જેવાં હલવાઈ જાય ને?! એ બાપડાઓને થોડી ખબર મોડર્ન ગૃહલક્ષ્મી શું શું કારસ્તાન કરશે?!! દરેકે દરેક કામમાં હારોહાર હાથ (કેટલેક ઠેકાણે તો પગ પણ ) દેવડાઈએ તો’ય…….. આજથી રોટલી બંધ…! એકવાર તો મેં કીધેલુ ય ખરું, “હું બનાવું તો?!” જવાબ આવ્યો તો, “પછી આજથી કાયમ માટે તમે જ બનાવજો…!” હારીને હથિયાર હેઠા મેલવા સિવાય કોઈ ચારો હતો?! બોલો રણછોડરાયજી, કેમ બોલતાં નથી?! (શું બોલશે, રોટલી તો એમણે ય નહિ જ ખાધી હોય!) એકલી લાપસી ને તુવેરો વડે કેટલાં દા’ડા ખેંચવાના?!

આ તો થઇ ગમ્મતની વાત. એક તરફ તો લાગે કે, આવા જડસુ નિયમોનું હાલની પરિસ્થિતિમાં કોઈ સ્થાન નથી, બદલી નાખવા જોઈએ. (કેટલાક ઘરે સુધારણા શરૂ થઇ ચૂકી છે. પાંચમાંથી બે કે ત્રણ દિવસ) ને, બીજી તરફ લાગે..નાં યાર, આવું કૈંક તો હોવું જોઈએ..રૂટીનથી અલગ. કહે છે ને, વસ્તુની એહમિયત એની દૂરતાથી વધુ સમજાય છે. છો’ પાંચ દિવસ વાહલી રોટલી ન મળતી, પછી તો કાયમ થાળીની શોભા બનવાની છે જ. ચલ બકા, એટલો વિરહ તો સહી લેવાશે.

હાલો રજા લઉં….. મને તો ભૂખ લાગી આટલું લખતાં લખતાં. એ..ય ને ધીમી ધારે મહેમાનના પગરવ સંભળાયાં… અલ્યા જાઓ, આખો દિ’ અહીં જ કાઢશો કે શું?! આવકારો એમને… જો, જો, એમને કે’તાં નહિ પાછા…. આવું ગાંડુ ઘેલું વાંચવામાં ટાઈમ બગડ્યો. બિચારા મને વાંચતા હશે તોય નહિ વાંચે!

~એજ તન્મય..!

આવરણ…

10620820_460272340781284_1766980147940263967_n

વર્ષો પહેલા કન્નડ સાહિત્યકાર શ્રી એસ એલ ભૈરપ્પા દ્વારા લિખિત સિદ્ધા દીક્ષિત વડે ગુજરાતી અનુવાદિત, વિક્રમી વેચાણ ધરાવતી અને આજ કાલ મારા ફેસબુક વર્તુળમાં ચર્ચામાં છે એવી એક બુક વિષે થોડીક વાતો. એક અઠવાડિયામાં ચારેક પોસ્ટ અને ગઈ કાલે ફેસબુક મિત્ર સાથે થયેલી ઈનબોક્સ ચર્ચા પછી લખવાનું ઈંજન મળ્યું.  આમ તો આ પ્રકારનું લખવું મારો પહેલો પ્રયત્ન છે. એથી પર્સનલી લખાઈ જાય તો દર ગુજર કરશો.

ગુજરાત બહારના લેખકો શું લખે છે એ જાણવાનો ચસ્કો મને આ પુસ્તક સુધી દોરી લાવ્યો છે. મુખપૃષ્ઠ પરથી ફિલોસોફીકલ વાત હશે એમ માની મેં એ ખરીદેલી. (મને ફિલોસોફી ગમતી નથી એ અલગ વાત થઇ!) મેં એ બુક વાંચી છે. આ કોઈ વિવેચન નથી. પ્રશસ્તિ પણ નથી. મને એમાં જે લાગ્યું લગભગ સાચું દેખાયું એ આપવાનો પ્રયાસ માત્ર છે. (એક જ બેઠકે વાંચી ગયો એવી રસાળ લાગી, રાતની ઊંઘ બગાડીને પણ વાંચવા લાયક લાગી… વગેરે વગેરે સ્કીપ કરું છું 😀 )

ખાસ વાત એ છે કે આ પુસ્તકમાં કોઈ નાવીન્ય નથી. જસ્ટ આંખ ખોલો અને દ્રશ્યમાન થાય એવી કેટલીક હકીકતો વાર્તાના ભાગ રૂપે વણી લેવાઈ છે. જે કહેવા માટે લેખકને ધન્યવાદ આપવા ઘટે. નવલકથાનું પાત્ર ખુદ નવલકથા લખે! – એવું કલ્પન અનોખું લાગ્યું. પાત્રો કદાચ કાલ્પનિક હશે, હોવા જ જોઈએ. પણ એમના વડે બોલાયેલ સંવાદો, ઘટનાઓ, વગેરે વિષે લેખકે ખુદ સંદર્ભો ટાંક્યા છે. ૧૨૭ ગ્રંથોના નામ સરનામાં પ્રાપ્યસ્થાન સાથે. એ કાલ્પનિક ન હોઈ શકે. પોતાને કહેવી છે એ વાત સિવાય કલ્પનાના ઘોડા સાતમા આકાશે વિસ્તારી શકાય એવી ત્રણેક જગ્યાએ લેખકે માત્ર એક દોઢ પેરાગ્રાફમાં પતાવી દીધું છે. અનોખી લેખન શૈલી સિવાય અંતની ઉપેક્ષા કરી માત્ર મહત્વની વાત લખવી, પુસ્તકને મુઠી ઉંચેરુ સ્થાન આપે છે. બુકને અંતે ઘણા છેડા ખુલ્લા રહી જાય છે. લેખક કદાચ ધારત તો આખી સીરીઝ આપી શકે એમ હતા! (આજે લખાય છે એમ વાર્તાને ૧૭ માં પગલે એવો વળાંક આપાય જેથી આગળના ૧૬ ભાગ ન વાંચ્યા હોય તો ચાલત!) મને નથી લાગતું આ વિષયક લેખકે આગળ કઈ લખ્યું હોય.

કોઈ પણ ઉંમરે શીખવું શક્ય છે. સાવ ગામડામાં રહેતા જ્યાં ટેલીફોનની સુવિધા નથી એવા એક ચુસ્ત હિંદુ પાત્રને પુત્રી ઇસ્લામમાં પરણ્યા પછી ઇતિહાસમાં રસ જાગે છે અને કન્નડ સિવાય કશું બોલ્યા કે સમજ્યા નથી એ માણસ અલ્ટ્રા હાયર લેવલની ઈંગ્લીશ પુસ્તકો વસાવે છે. વાંચે છે. એ વિષે નોંધો (જે પણ સમ્પૂર્ણ ઇંગ્લીશમાં) ટપકાવે છે. ૫૪ વર્ષે નાયિકા શીખે છે.

તોડી-મરોડી, મારી-મચડીને ખુદને સેક્યુલર સાબિત કરવાની સરકારી ખેવના પર ધીન્ચકના પ્રહાર કર્યા છે. ઈતિહાસ જેમ છે એમ જ આલેખાવો જોઈએ. ઈતિહાસકારે સરકારી પુરસ્કારો કે વેતન-બહુમાનની આશાએ છેડછાડ કરવી એ ગુન્હો છે. તમે જેમ છે એમ જ મુકો. પબ્લીકને નક્કી કરવા દો શું સારું શું ખોટું. હુલ્લડ કે અશાંતિની આશંકાએ ખોટું પીરસવું એ તો ડાયાબિટીસના દર્દીને ખાંડને સ્થાને સેકરીન વળી ચ્હા અપાયા જેવું થાય! સેક્યુલર વિષે ભાષણો ઠોકતા અને ખુદના અનુભવો વડે દાખલો બેસાડવા સેક્યુલારિઝમ જીવતા નવલકથાના જ એક પાત્રને શું તકલીફો પડી એ પણ બખૂબી દર્શાવાયું છે. હિંદુ પ્રોફેસર કેથલિક પત્ની લાવ્યા. જેમના બે બાળકો. દીકરો પંજાબી કુડી લાવ્યો. પુત્રીને હિંદુ કે ક્રિશ્ચયન પરિવાર ન  મળતા સાઉદી રહેતા ચુસ્ત ઇસ્લામિક પાત્ર સાથે નિકાહ (શરિયત મુજબ છોકરીને ઇસ્લામ સ્વીકાર કરાવીને) કરાવવા પડ્યા! એ સિવાય સાચું જાણતી હિન્દુમાંથી કન્વર્ટ થયેલી મુસ્લિમ નાયિકાને થતા સરકારી અનુભવો સરસ રીતે આલેખાયા છે. (ચર્ચા સભાઓમાં બોલવા દેવામાં પાબંધીથી લઇ આ વિષયક નવલકથા લખવા માટે પોલીસ કેસ અને એના પર્સનલ ગ્રન્થ ભંડારને સીલ કરવા સુધીની કનડગત)

આગળ ઓરીજીનલ જે વાત છે, જે તથ્યો છે, જે વાસ્તવિકતા છે, જે વિવાદ છે એ બધા વિષે તમારે પુસ્તક વાંચવું રહ્યું 😛

ઇતિહાસનું ઈશ્વર જેવું છે. તમે માનશો કે નહી એથી એના અસ્થીત્વને કોઈ કરતા કોઈ ફર્ક પડવાનો નથી. વાસ્તવિકતા સ્વીકારી અને એમાંથી ધડો લેવાવો જોઈએ. હિટલરના નાઝીવાદ સામે જર્મન પ્રજાનો સ્વીકાર અને માફી આપણી સમક્ષ છે જ. પ્રજાને થવું જોઈએ કે આ નિર્ણયો અમારા વડવાઓના હતા. જેની અમને પારાવાર તકલીફ છે. પૂર્વજોએ કરેલી ભૂલો અમે વખોડીએ છીએ. (જોકે પૂર્વજો કહેવા એ મિથ્યા છે. હાલમાં હિન્દુસ્તાનમાં વસનારમાંથી સાચા મુસ્લિમો કેટલા?! ) અને આ ભૂલો અમે રીપીટ નહિ કરીએ. એ હિમ્મત, એ નૈતિકતા બતાવવાની વાત છે. બાકી…………………

અંડ ફોડી નાખ્યો છે એથી કઈ પુરુષત્વ થોડી નાશ પામ્યું છે?

~એજ તન્વય..!
ફોટો કર્ટસી : ફેસબુક મિત્ર નિધિ શીયલ

વિરોધ કે ફૂટેજ ખાવાની પ્રક્રિયા?!

દરેક સંસ્કૃતિને પોતાની આગવી ઓળખ હોય છે. (હા ભાઈ… ભારેખમ લેખ છે. શબ્દોય ભારેખમ આવશે.. તૈયાર રહેજો) ભાષા, રહેન સહેન, ખોરાક, પોષાક કે ઇવન ઉત્સવ. દરેક માટે એ ભિન્ન અભિગમ હોઈ શકે છે. હોવા જોઈએ. આપણે જે વિષય વસ્તુને મહત્વ ન આપતા હોઈએ એ અન્યો માટે પ્રાણ પ્રશ્ન હોઈ શકે. (હાસ્તો આપણે જે રેડિયો ભંગારમાં નાખેલો એ આમીર માટે…. 😛 ) એનો અર્થ એ નથી કે એ વિષય વસ્તુ આપણને સ્વીકાર્ય જ ન હોય. બે સંસ્કૃતિ વચ્ચે સરખામણી ( કમ્પેરીઝન યુ નો!) કરવી હાસ્યાસ્પદ વાત છે. આ વાત જેમને ગળે નથી ઉતરતી એમને ઉલ્ટી કરવી પડે છે. (જે આપણે જોવી પડે છે) એ વધુ હાસ્યાસ્પદ વાત બને છે.

ખાસ કરીને ઉત્સવ વખતે. આપણે જાણીએ છીએ એમ પ્રશ્ચિમ ડે’ઝ ઉજવવામાં વધુ માને છે. (મધર ફાધર સિસ્ટર બ્રધર વગેરે વગેરે વગેરે વગેરે) જે ખાસ કરીને રવિવારે રજાના દિવસે નક્કી થયેલા હોય છે. જે ત્યાની પ્રજાને પોતાના બીઝી શેડ્યુલ મુજબ અનુકુળ છે. સબંધો સાચવવા એમને આવા દિવસોની જરૂર પડે છે. જે સહજ વાત છે. અને એમના એ દિવસો આપણે ઉજવીએ એમાં ય કશું ખોટું નથી. વાસ્તવિકતા તો વિરોધ નામથી જ ન હોવો જોઈએ. કોઈક એમના ઘરમાં કઈ પણ કરે એથી કોઈ નિસ્બત ન હોવી જોઈએ. બ શર્તે આપના ઘરમાં એમનો ફટાકડો ન પડવો જોઈએ! એ દિવસો ઉજવીને આપણી સંસ્કૃતિ નષ્ઠ થશે એ માન્યતા ગળે નથી ઉતરતી. ઝમાનેમે ઇતના દમ કહાં બચા હૈ! (વર્ષોથી રોક્કળ ચાલે છે ગુજરાતી ભાષાનું શું થશે? શું થયું? એમની એમ જ છે બિચ્ચારી!) આથી આવા આંધળા વિરોધીઓ પ્રત્યે ચોક્કસ ધૃણા જાગે. જાગવી જોઈએ.

દુશ્મન કા દુશ્મન ભાઈ એ નાતે આ વિરોધીઓનો વિરોધ (ઓફ્ફ વિરોધ વધી ગયો નહિ?!) કરનારને ટેકો અપાઈ જાય જાણ્યા વિચાર્યા વગર જ. વિરોધ કરવામાં કળા જોઈએ. (હાવ મોઢવાડિયા કે વાઘેલા બનો એ થોડી ચાલે!) પહેલા પેરાગ્રાફમાં કહ્યું એમ બંને સંસ્કૃતિ અલગ છે. એમના ઉત્સવો પણ. ચેરાપુંજીમાં વરસાદ પડે અને હું રાજસ્થાનમાં હોડકું વસાવું એ કેવું?! બંને ઉત્સવોની સરખામણી શક્ય નથી. “ફ્રેન્ડશીપ, ફાધર, મધર વગેરે કોઈ પણ ડે ન ગમતા હોય તો જન્માષ્ટમી કે રક્ષાબંધન વિશ પણ નહિ કરો ને?!” બોલો છે ને ધીન્ચક વિવાદાસ્પદ વિધાન. આપણને બાલમંદિરથી ભણાવાય છે કે આપના ઉત્સવો ચોક્કસ તિથીએ જ આવે છે. (હા કદાચ કોન્વેન્ટમાં ઘરની બુક્સ ભણીને CBSC ટોપર થયા હોય તો જુદી વાત છે!) જે દરેક ઉજવણી પાછળ કોઈક ને કોઈક કારણ હોય છે. જેમ કે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણ (કૃષ્ણ હોં…. ક્રિશ્ના નહિ!)નો જન્મ દિવસ છે એ ચોક્કસ તિથી એ જ આવે. એમાં સગવડતા નાં ઉમેરાય કે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે જન્માષ્ટમી જાહેર કરીએ! (૨૫ ડિસેમ્બરે આવતી ક્રિસમસ ડીસેમ્બરના છેલ્લા રવિવારે ઘોષિત કરવા જેવી વાત!) ઉત્તરાયણ સિવાય બધા જ ભારતીય ઉત્સવો તિથી મુજબ હોય છે. હોળીમાં ફાગણનો મહિમા હોય છે. રક્ષા બંધને ભાઈ બહેનના પ્રેમ વિષે વાત હોય છે. દશેરાએ અન્યાય પર વિજય અને દિવાળીએ પ્રભુ રામ ઘરે પધાર્યા એટલે ઉજવાય છે.

શું કહું આ માર્ગ ભૂલેલા જીવન પથિકને? વિરોધ કરવા માટે પાત્રતા હોવી જરૂરી છે. જે અસંખ્ય વાર હું કહી ચુક્યો છું. સોશિયલ નેટવર્ક સાથે જોડાયેલા રહીને ટેગિંગ ગેમિંગથી પરેશાન હોવાના બળાપા કાઢી ન શકાય. એ સહજ વાત છે. સ્વીકાર્ય હોવી જોઈએ.  ક્યારેક ઇગ્નોર કરી શકાય છે. ક્યારેક હદથી વધુ હથોડા પડે ત્યારે આમ ઉભરો ઠાલવવો પડે છે. કોઈક મહા જ્ઞાની આ રીતની વાત કરે ત્યારે એમની બુદ્ધિ પ્રતિભાને પોતાના ખર્ચે સાયકોલોજીકલ સારવાર કરાવવાની લાલસા પણ થઇ આવે છે! શું કરીએ….. અમે દિલથી લાગણીશીલ છીએ.

સોરી પર્સનલી થઇ ગયું હોય તો…. 🙂  મારા જ વિચારો છે. તમને છૂટ છે ઈચ્છો એ વિચારી શકો. દરેક ભારતીય તહેવાર રવિવારે આવે એવો ખરડો ય લાવી શકો છો. જેમાં કોઈ સાથ નહિ આપે એ મારી ગેરેંટી (હાસ્તો………. માંડ માંડ જાહેર રજા મળતી હોય ! એમાં ય :\ )

BTW ત્યાંય ઈન્ડીપેન્ડન્સ ડે તારીખ મુજબ જ ઉજવાય છે…. તમારી જાણ ખાતર!

~એજ તન્વય..!

ઘટના…

૨૪ એપ્રિલ ૨૦૧૪……

એક દસેક વર્ષનો છોકરો… પાણીના પાઉચથી મોઢું પલાળતો હતો.. મને જોઇને કહે… અંકલ ઇન્કમ ટેક્સ સુધી લઇ જશો…. મારા પગ બહુ બળે છે..

ચલ બેસી જા… (બાઈક સ્ટાર્ટ કરીને) ચપ્પલ કેમ નથી ?

એટલા પૈસા નથી !

ક્યાં જાય છે?

વાડજ..

કેમ? આટલી બપોરે ?

હું ત્યાં જ રહું છું…!

તો અહી શું કામ આવેલો ??

હું અહી નોકરી કરું સુ… (ઇન્કમ ટેક્સ પહોંચ્યા પછી.. ) ચાલો થેંક્યું અંકલ..

અરે વેઇટ… તને એકાદ સ્લીપર આપવી દઉં..

ના અંકલ…. આટલું બૌ થેઈ ગયું….ચાલશે..

ઓકે જો.. સામે એક મોચી દેખાય છે.. ત્યાંથી કોઈક જૂનામાં આપવી દઉં તો?

એ એગ્રી થયો અને અમે બંને એ મોચી પાસે પહોંચ્યા.. મોચી નોહ્તો.. એની રાહ જોઈ અમે બંને ઉભા રહ્યા.. હું હંમેશની ટેવ પ્રમાણે ઘડિયાળ જોઈ રહ્યો.. ગરમીને કારણે અણગમાના ભાવ પણ આવી ગયા.. પાંચેક મીનીટમાં આ ઘટના સાતેક વાર બની… અંતે એ બોલ્યો… “રહેવા દો અંકલ… મેં કીધેલું ને…. ચાલશે…!!!! અને એ રોડ ક્રોસ કરી સામેની સાઈડ જતો રહ્યો… મારે આંબાવાડી આવાનું એટલે સહસા અમારે ફંટાવું પડ્યું..

હજીય વિચારું છું…. કે એણે ચપ્પલ કેમ નહિ લીધા હોય? મારી ઉતાવળ જાણી ગયો હશે? જોકે મારે વહેલા ઓફિસે જઈ કોઈ લાટા નોહતા લેવાના ! દસેક મિનીટ વધુ રાહ જોઈ હોત તો આ સ્વમાની છોકરાને એટલીસ્ટ જુના ચપ્પલ આપવી શક્યો હોત… કારણ કે એ મોચીની પાસે માંગી શકે એટલી હિમ્મત ક્યાંથી લાવવાનો ??!!

કેટલીક વાર આપણને અ-કારણ ઉતાવળ હોય છે. એ વખતે મને મારી હયાતીની જરૂર ક્યાં વધુ છે એ સમજાઈ ગયું હોત તો…??!!

*****
૨૫ જુન ૨૦૧૪…

નવા શાહીબાગ ઓવર બ્રીજ પરથી એક માજી સવારે દસેક વાગે માટલાની લારી ભરીને લઇ જતા હતા. ચઢાણ તો વ્યવસ્થિત થઇ ગયું. ઉતરાણમાં બેલેન્સ ગુમાવી બેઠા. લારીએ પડખું ફેરવી લીધું અને સાથે બધાજ માટલા હતા ન હતા થઇ ગયા. સમય પણ એવો કે સૌને ઉતાવળ. એકટીવા સવાર એક ભાઈ રોકાયા. (હું પણ) પછી બીજા ચારેક પણ રોકાયા. લારી તો ઉભી કરી માજીને પણ પાણી વગેરે આપી સ્વસ્થ કર્યા.. નાઉ વ્હોટ? એક પછી એક સૌ વિખેરાવા લાગ્યા.

હવે સૌથી પહેલા રોકાયેલા ભાઈએ માજીને કહ્યું “માટલું કેમ આલ્યું બા?”

માજી ટેન્શનમા હતા તોય હસી પડ્યા. “એમ ને એમ લઇ જાઓ બાપા.”

પેલા ભાઈએ ત્રણ ચાર કાચલી ઉઠાવી. માટલાનો નીચલો હિસ્સો. પંખીઓને પાણી પીવડાવવા કામ લાગે એવી. પછી કહ્યું “આના કેટલ દવ?”

માજી બોલ્યા “કીધું ને, લઈ જાઓ એમ જ”

“એમ તે કઈ હોય” કીધું. અને લારી પર ઉપરની બોર્ડરની ફાંટમાં કશુક ભરવી એમણે ચાલતી પકડી. માજી તો બે ધ્યાન જ હતા. મેં ત્યાં જોયું. rs . ૫૦૦ ની નોટ હતી! દિલ બાગ બાગ થઇ ગયું. હેટ્સ ઓફ મેન હવે મેં એવી બીજી કાચલી ગોતવા માંડી. ત્રણેક ઉઠાવી. માજીને કહ્યું “બા હું આ લઇ જાઉં છું. ને હા અહી કશુક ભરાયું છે એ લઇ લેજો”

બાઈક ચાલુ કરી હેલ્મેટ પહેરતા પાછળ જોઈ લીધું. માજી બે પાંચસોની નોટ જોઈ ખુશ હતા…

આમેન

એક નિખાલસ એકરાર:  અહી મેં કોઈક સારું કામ કર્યું એની પ્રશંસા જરાય નથી. અને ધન્યવાદ દેવા હોય તો પેલા એકટીવા સવાર વ્યક્તિને દેવા પડે. કદાચ પહેલા પ્રસંગમાં થયેલી ભૂલ ભગવાને આ રીતે સુધારવાનો ચાન્સ આપ્યો હશે.

કહેવાનું માત્ર એટલું જ છે કે મદદ કોઈ પણ રીતે થઇ શકે છે. ભાવના હોવી જોઈએ. —

પ્લીઝ વોટ…. :)

મારે ૨૪ કલ્લાક વીજળી પાણીની સગવડ જોઈએ. રસ્તા એકદમ સાફ સુથરા અને નિયોન લાઈટ્સથી ઝળહળતા જોઈએ. સુવિધા સંપ્પન્ન બાગ બગીચા, તળાવો કે રીવર ફ્રન્ટ જેવા ફ્રી માં ફરી શકાય એવા જાહેર સ્થળો જોઈએ. સરકારી સ્કુલ કોલેજોની સ્થિતિ ઇન્ટરનેશનલ હોવી જોઈએ. અત્યાધુનિક અને છેલ્લામાં છેલ્લી અપડેટ્સ વાળી હોસ્પિટલ જોઈએ. આર્થિક સામાજિક ધાર્મિક દરેકે દરેક ક્ષેત્રે પાવર પેક્ડ સલામતી જોઈએ. ટૂંકમાં તકલ્ફ વગરની લાઈફ જોઈએ.. પણ પણ પણ.. વોટ નથ દેવો ! વોટીંગ કરતા તો મારી ઊંઘ અને રજા મહત્વની અને વ્હાલી છે. ચ્યા માઈલા.. કાઈ બોલત રે ! ખ્રિસ્તી સંત જ્હોન કહે છે , “માણસ માટે રજાનો દિવસ ઘડાયો છે. રાજાના દિવસ માટે માણસ નહિ !”

ચાલો આવા કેટલાક નાગરિકોની ઈલ્લોજીકલ દલીલોનો લોજીકલ જવાબો… “મારા એક વોટ ન આપવાથી શું ફેર પડશે?” આમ તો આ વાહિયાત દલીલનો જવાબ એક જ વાક્યમાં આપી શકાય… પેલી ફેમસ અકબર બીરબલ વાળી વાર્તાનો બોધ : “બુંદ સે ગઈ વો હોજ સે નહિ આયેગી!” પણ તમે તો ઉદાહરણોથી જ માનવા ટેવાયેલા ને! સો.. હિઅર ઇટ ઈઝ… કેટલાક ઉદાહરણો ઓછા માર્જીન વડે હારનાર ઉમેદવારોના..

સરદાર વલ્લભભાઈ પટેલ પોતાની જિંદગીની પ્રથમ ચૂંટણી (૧૯૧૭માં અમદાવાદ શહેરના સ્વચ્છતા વિભાગના અધીકારી તરીકે) માત્ર એક મતથી જીત્યા હતા !

૧૯૯૯ માં પાર્લામેન્ટમાં અટલ બિહારી વાજપેઇની સરકાર માત્ર એક મતથી પડી ગઇ હતી. તેમની સામે અવિશ્વાસનાં પ્રસ્તાવમાં ૨૭૦ મત પડયા જ્યારે એ પ્રસ્તાવની સામે ૨૬૯ મત પડયા.

૧૧મિ લોકસભામાં વડોદરા બેઠક સત્યજીત ગાયકવાડે માત્ર ૧૭ વોટ થી ભાજપ પાસેથી આંચકી લીધેલી.

૨૦૧૨ વિધાનસભાની ચૂંટણીમાં સોજિત્રાના કોંગ્રેસના ઉમેદવાર પૂનમભાઈ પરમાર ભાજપના વિપુલભાઈ પટેલથી માત્ર ૧૬ર મતે જીત્યા હતા. જે તમામ સરકારી કર્મચારીઓના બેલેટ પેપર વાળા વોટ હતા. (મત ગણતરીમાં બંને સરખા હતા!) કલોલના કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે ભાજપના ઉમેદવાર ડૉ.અતુલભાઈ પટેલને ૩૪૩ મતે તો કાંકરેજના કોંગ્રેસના ઉમેદવાર ધારશીભાઈ ખાનપુરાએ તેમના ભાજપના નજિકના હરિફને ૬૦૦ મતે તથા ભાજપના આણંદના ઉમેદવાર દિલીપભાઈ પટેલે તેમના હરિફને ૯૮૭ મતે પરાજય આપ્યો. એજ રીતે ૨૦૦૭ વિધાનસભાની ચુત્નીમાં જાડેજા બ્રિજરાજસિંહ જામજોધપુરથી ૧૭ અને પટેલ હીરાભાઇ લુણાવાડાથી ૮૪ થી જીત્યા હતા. ૧૯૮પ ગોઝારિયા કોંગ્રેસના હરિભાઇ શુકલ સામે ભાજપના મંગળદાસ ૨પ૦ મતે હાર્યા હતાં.

યાદી લંબાઈ શકે છે. આતો ઝટ હાથવગા જાજી ખણખોદ વગર હાથ લાગ્યા એટલા જ છે. આ લોકો નાગરિકોની આવી ઉદાસીનતા ને લીધે જ હારેલા. આથી તમને તમારા મતનું મહત્વ સમજવું જોઈએ. વધુમાં આ લોકોને એમના પક્ષના અન્ય ઉમેદવારની સરસાઈ કોઈ કામે લાગવાની નોહતી. (સલમાને કરી એવી ફિલ્મો ઘણાય પરણિત અભિનેતાઓ કરી શકે… કરી ચુક્યા છે! એટલે આ ઉદાહરણો વધુ ગ્રાહ્ય છે.)

હું ટેક્ષ ભૂરું છું, ટ્રાફિક સુધરાઈ કે અન્ય જાહેર સંસ્થાઓના નિયમો પાળું છું. એ નાતે નાગરિકતાની ફરજ બજાઉં છું. એટલે વોટીંગ માટે સમય ન આપું તો શું ફેર પડશે? …. વધુ એક આંખે હાથ રાખી સુરજના અસ્વીકાર જેવી વાત! ભાઈ ટેક્ષ તું જે કમાય છે, એ પછી તારા (સાચા ખોટા) ખર્ચા, તારી સગવડો (ઘર, ગાડી વગેરેની લોનના વ્યાજથી માંડી, ભિન્ન પ્રકારે લેવાતી સબસીડી બધું જ) તારું ભવિષ્ય ફીનાસીય્લી સ્ટ્રોંગ રહે એ માટે કરતા ઈન્વેસ્ટમેંનટસ (જે બેઝીકલી ટેક્ષ બચાવવા માટે જ કરાતા હોય છે!) વગેરે વગેરે વગેરે સેટિંગ કર્યા પછી ચૂકવતો હોય છે. પેટ ભરાઈ ગયા પછી વધેલું ભિખારીને આપી આત્મસ્ન્તોશ પામે એ રીતે.

અને ટ્રાફિક… ફોલો નહિ કરો તો દંડ ભરવો પડશે. (જે પાછો ટેક્ષમાં બાદ નહિ મળે!) અન્યોને અડચણ થશો તો ક્યારેક ઘર્ષણ પણ થશે.. એ બધું ટાળવા. વિદેશ કમાવા ફરવા જાઓ ત્યારે ટેક્ષ અને ટ્રાફિક ફોલો કરો છો ને ? તકલીફ પડે તોય… એમની સિસ્ટમનો વાંક નથી કાઢતા. ક મને ય ફોલો કરવી પડે છે. જસ્ટ બીકોઝ ઓફ યુ આર નોટ અ સીટીઝન ઓફ ધેટ કન્ટ્રી…  મતાધિકાર એક ઉદાહરણીય ફર્ક છે એને એ રહેવો જ જોઈએ…

હવે સમજાયું, “જો વોટ નહિ આપો તો સિસ્ટમને ભાંડવાનો હક નથી?” તે ? મારે તો આ એક જ લીટી લખવી હતી………. જે સમજાવવા આટલું બધું લખવું પડ્યું..! મતદાનની તારીખ ખાસ્સા સમય અગાઉથી નક્કી થયેલ હોય છે. અનિવાર્ય સંજોગો સિવાય મતદાન ટાળવું અપરાધ લેખાશે. ખોટા અને મહત્વાકાંક્ષી માણસના હાથમાં સત્તા આવવાથી શું થઇ શકે?? મહાભારતનું નબળું તો નબળું પણ ટેલીકાસ્ટ ચાલુ છે!

~એજ તો..!

જય હિન્દ…. પ્લીઝ પ્લીઝ પ્લીઝ પ્લીઝ પ્લીઝ વોટ 🙂

MH370…. ધ મિસ્ટ્રી

પ્લેન સે પ્લેન……. કાગવાસની પૂરી થોડી ! કે કહી દેશો કાગો લઇ જ્યો… ને બાવો લઇ જ્યો…. !

માર્ચ ૨૨, ૧૯૫૭
યુ એસ. મીલીટ્રી એર ટ્રાન્સપોર્ટ સર્વિસનું વિમાન C-97C-35-BO Stratofreighter 50-0702 … ૫૭ પેસેન્જર અને ૧૦ ક્રુ મેમ્બર્સ સાથે પેસેફિક મહાસાગરમાં ગરકાવ. જેની ભાળ હજી સુધી મળી નથી.

ઓકટો. ૧૩, ૧૯૭૨
ઉરુગ્વે એરફોર્સની ફ્લાઈટ ૫૭૧. દેશની રગ્બી ટીમ સાથે એન્ડીઝની પર્વતમાળામાં ક્રેશ. ૩૦૦૦૦ ફીટની ઊંચાઈ. બરફથી ઘેરાયેલા દુર્ગમ પહાડી વિસ્તરમાં ૨૭ જીવતા માનવોનો જીજીવિષા માટે સતત સંઘર્ષ. અંતે બે મહાનાયકોના પર્વતારોહણ બાદ ડિસે. ૨૩, ૧૯૭૨ ના રોજ ૧૬ સભ્યોને જીવતા બચાવી લેવાયા હતા. આ ફ્લાઈટ પણ રડારમાંથી અદ્રશ્ય થયેલી. (વિસ્તૃત કથા કેટલાક સમય પહેલા “સફારી” માસિકમાં આવી ગયેલી છે.)

જાન્યુ. ૧, ૧૯૮૫
ઇસ્ટર્ન એરલાઈન્સની ફ્લાઈટ ૯૮૦ ટેક ઓફની ગણતરીની પળોમાં અદ્રશ્ય થઇ ગયેલી. યુ એસ એમ્બેસેટરના પત્ની સહિત ૧૯ પેસેન્જર અને ૧૦ ક્રુ મેમ્બર્સ કોઈ પણ ની ભાળ મળી નોહતી. છેક ૨૦૦૬ માં ઈલ્લીમાની પર્વત, (બોલાવીયાનું બીજા નંબરનું ઊંચું સ્થળ ૧૯૬૦૦ ફીટ) પરથી એનો માત્ર કાટમાળ જડી આવ્યો. કોઈ સભ્ય, પ્રવાસી, કે એમની કોઈ પણ નિશાની બચી નહોતી.. ઇવન બ્લેક બોક્સ પણ બરફને લીધે એટલું ડેમેજ હતું કે કોઈ અનુસંધાન ન મળ્યું.

જુન ૧, ૨૦૦૯
એર ફ્રાન્સનું બોઇંગ ૪૪૭ એના ૨૧૬ પેસેન્જર અને ૧૨ ક્રુ મેમ્બર્સ સહીત એટલાન્ટીક ઓશનમાં ગરકાવ. ફ્રાન્સના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના. એની સાથે હવા માં જ ટકરાયેલ એર બસ ૩૦૩ વળી બીજી મોટી હોનારત! એર બસ ૩૦૩ તો એ વખતની કમર્શિયલ પેસેન્જર સર્વિસની સૌથી મોટી હોનારત હતી. બ્રાઝીલીયન નેવીને એનો કાટમાળ શોધતા ૫ દિવસ લાગ્યા હતા. અને બ્લેક બોક્સ મે ૨૦૧૧માં આશરે બે વર્ષ પછી શોધાયું. છેક ૫ જુલાઈ ૨૦૧૨ ફાઈનલ રીપોર્ટ બન્યો.

માર્ચ ૮ ૨૦૧૪
અત્યારે વિશ્વ આખું જેને માટે પ્રાર્થી રહ્યું છે એવી મલેશિયન એરલાઈન્સની ફ્લાઈટ MH370 કુઆલામ્પુરથી બેઇજીંગ જવા નીકળી હતી (છે), ૫ ઇન્ડિયન ૧૫૨ ચાયનીઝ અને ૩૮+૧૨ મલેશિયન સહીત ૨૨૭ પેસેન્જર્સ અને ૧૨ ક્રુ મેમ્બર્સ સાથે. હજી પહોંચી નથી. અંતિમ માહિતી અનુસાર ફ્લાઈટ ગુમ થયાના બે કલ્લાક પછી મલેશિયા અને વિયેતનામ વચ્ચે સમુદ્રને તળિયે ઘટના નોંધાઈ છે. મલેશિયા સ્થિત સીસ્મોગ્રાફ વડે શોધાયેલું સ્થળ ૭૨ માઈલ ઉત્તર પૂર્વ દર્શાવે છે, જ્યાંથી MH370 છેલ્લી વાર પીનપોઈન્ટ થયેલું.

વિ પ્રે ફોર ધેમ………….
Image

૧૪ રાષ્ટ્રો જેની શોધખોળમાં લાગેલા છે એવી આ દુર્ઘટના સંદર્ભે ચર્ચામાં આવેલા કેટલાક ક્રેઝી કહી શકાય એવા મુદ્દાઓ જે બોસ્ટન ડોટ કોમના ક્રીસ કેસરે અલગ તારવ્યા છે…

૧) એલિયન્સ સામેલ છે : ફોર્બીડન નોલેજ ટીવીમાં જેને UFO તરીકે દર્શાવાય છે એ વાસ્તવમાં કોરિયન એરલાઈન્સ ફ્લાઈટ 672 છે! યુ ટ્યુબ સર્ચ મારશો તો જડી આવશે!

૨) આ મુસાફરો હજુ પણ જીવંત છે : યેસ, સમાચાર સાચા હોય તો કેટલું સારું. બટ….. ધરતી પર રહેલા પેસેન્જર્સના સગા એમને કોલ કરે ત્યારે વોઈઝ મેલ પર જાય એ પહેલા રીંગ વાગે છે. એટલે એ કાર્ડ એક્ટીવ હશે એ જરૂરી નથી. જાત તપાસ કરતા ખ્યાલ આવી જશે કે તમે ખુદ તમારો ફોન બંધ કરી બેટરી કાઢશો અને બીજી લાઈનથી એને જોડશો ત્યારે વોઈઝ મેલમાં જતા પહેલા રીંગ વાગી શકે છે.

૩) ચાયનીઝ અથવા અમેરિકન સત્તાવાળાઓ ગુપ્ત રહસ્યો માટે ઉઠાવી ગયા છે : બોલો !! જે ફ્લાઈટ માં ૫૦% થી વધુ (૧૫૨) ચાયનીઝ નાગરિકો મુસાફરી કરતા હોય એને એ જ દેશ ઉઠાવી જાય? અને યુ એસ… માની લો કે એ કરી શકે બટ શા માટે ?! એક પેસેન્જર પ્લેન હાઈજેક કરી એને એવો તો કયો એશિયાના દેશો પર જાસૂસીનો દલ્લો મળી જવાનો હતો ! (થીંક બકા થીંક !)

૪) ઈરાનીયન સંડોવણી : અરે મારા ટોની ઈલીયોટ સાહેબ. UFO વાળી સ્ટોરીની સાપેક્ષ તમારા આ ગપગોળા વડે ઝાડાના થાય તો જ નવાઈ ! બે ચોરાયેલા પાસપોર્ટ વડે ઈરાની નાગરિકત્વ ધરાવનાર ખોટા માણસો મુસાફરી કરે એમાં આખા દેશનો વાંક ?! ઈલીયોટ સાહેબ નોંધે છે કે ફ્લાઈટે યુ ટર્ન લીધો એ છેલ્લી સંજ્ઞા હતી રડારમાં. ઈરાન સરકારની સંડોવણી હોય તો એ એના મિત્ર મુસ્લિમ રાષ્ટ્ર તરફ પ્લેન વાળે નહિ કે ઇસ્ટ તિમોર તરફ! વાત કરહ તે! આ થીયરી ૩૬૦૦૦ ફીટની ઉંચાઈએ ઉડતા એક પેસેન્જર પ્લેન માટે કોઈ કાળે સમર્થન આપતી નથી.

૫) પ્લેન પ્યોંગયાંગ પર લઇ જવાઈ છે : આ વાત જ ભ્રામક છે. પ્યોંગયાંગનું ડિસ્ટન્સ બેઇજીંગ જેટલું જ છે. રડારથી બચવા એને (જે અગાઉ કહ્યું તેમ સડન્લી ઉંચાઈ ઓછી ન જ થઇ શકે) નીચા સ્તરે ઉડવું પડશે. એટલે વધુ ઇંધણની ખપત. ટોટલી રોંગ થીયરી.

૬) ઇલ્યુમેનીટી ઇન્વોલવ્ડ : વ્હોટ રબીશ. વીકીપીડિયા પેજ પર નજર નાખતા સમજાય છે કે આ ૪૦૪મુ બોઇંગ૭૭૭ છે જે દુર્ઘટનાગ્રસ્ત થયું છે! HTTP ૪૦૪ એરર (નોટ ફાઉન્ડ) જેવું ?! અબે આ પ્લેન હતું, માધુરી નહિ કે જેનો ચાર્મ અદ્રશ્ય થઇ જાય ! (હમજી ગ્યા ને ગલગલીયા વીરો ?!)

૭) નવો બર્મુડા ટ્રાયન્ગ્લ : યેલ્લો….. રામ લીલામાં બતાવાય છે એમ, ગુજરાતમાં દારૂ “જાહેર” માં પીવાય અને બંદુક – ગોળીઓની દુકાનો હોય એવી જ વાત ! બોલતા પહેલા કમ્બોડિયા અને બે મલેશિયન ટાપુ વચ્ચેનું ડિસ્ટન્સ તો માપી લેવું ‘તું…. નકશા તો ફ્રીમાં મળે છે ગુગલેશ્વરના મંદિરે…

૮) પ્લેન વિયેતનામમાં છે અને એનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવાની રાહ જોઈ રહ્યું છે : બ્લોગર શાંતિ યુનિવર્સ લખે છે : મને ત્રણ શક્યતાઓ લાગે છે , મુખ્ય યાંત્રિક ભૂલ ( બરાબર ) , એક આતંકવાદી હુમલો ( માની શકાય ) અને 9 /11 શૈલીના હુમલાની પૂર્વ તૈયારી (!!!!)” વધુમાં લખે છે “ફ્લાઈટ ગુમ થયાના ૧૦ મિનીટ બાદ અજાણ્યા પાયલોટે સમ્પર્ક કર્યો હતો. જે વિયેતનામ એરસ્પેસમાં હોવાનો દાવો(!) કરે છે. એટલે એ શક્ય છે કે એક અજ્ઞાત એરપોર્ટ પર લઇ ગયા હશે, જ્યાં પેસેન્જર્સને બંદી બનાવી શકાય અને જરૂર પડે ત્યારે એનો ૯/૧૧ જેવા ભીષણ હુમલા માટે ઉપયોગ કરી શકાય !

લખો ભાઈ જે મન ફાવે તે લખો… ફ્રિ સ્પેસ, ફ્રિ ટાઈમ, (કદાચ) ફ્રિ નેટ પણ ! એટલીસ્ટ કાલ્પનિક (વર્ચુઅલ યુ સી!) દુનિયામાં તો સૌ કોઈ આઝાદ છે જ ! દરેક પ્રકારના વિલાસ માટે !!

૯) ત્યાં એક આઈ ફોન એપ્લીકેશન વડે સંચાલિત મીની હાઈડ્રોજન બોમ્બ વડે બ્લેક હોલ નિર્મિત કરાયો છે : એન્જેલા સ્ત્લક્પ નામ ધરાવતા આ મહિલા પાગલ છે, પ્રતિભા સંપન્ન છે, જીનીયસ છે, માસ્ટરકુલ છે કે પછી નિરાંતે રાગડા તાણે છે… સમજવું જરા અટપટું છે! કાલે ઉઠીને એ એવું પણ કહી શકે કે ડોનાલ્ડ ટ્રમ્પ યુનીવર્સીટી ચલાવે છે… કે પછી રશિયન વ્લાદીમેર પુતિન એડોલ્ફ હિટલરના ૯૨ ક્લોન્સ માના એક છે! (આગળ કહ્યું ને! લખો ભાઈ !!) MH370 થીયરી વિષે એમને ધન્યવાદ તો આપવવા જ જોઈએ ! (એમના દિમાગ વિષે વધુ જાણકારી માટે ટ્વીટર પર  Angela_Stalcup સર્ચ મારી લેજો 🙂

વેલ વેલ વેલ……… તો સત્ય શું છે? વાસ્તવમાં કોઈ જાણતું નથી. આ લખાય છે ત્યાં સુધીના છેલ્લા પ્રાપ્ય સમાચાર અનુસાર, મલેશિયન મીલીટરી પ્લેનને મલાક્કા સ્ટ્રીટમાં ૧૦૦ માઈલ સુધી શોધશે જ્યાંથી એણે છેલ્લા દર્શન દીધા હતા.

જસ્ટ પ્રે ફોર…. કદાચ જીવિત હોય……..
—————————————————————————————————————-
ફોટો કર્ટસી……….
http://www.bloomberg.com/infographics/2014-03-13/vanishing-planes-mapped-since-1948.html

ઘર….

Image
કેવો નાનકડો શબ્દ છે નહિ ?! કાનો માતર વિનાના બે અક્ષરો. કેજી માં શીખેલા ઘ ઘરનો ઘ. ઘ ને કઈ નહિ ઘ…. ર ને કઈ નહિ ર ! ઘર. કક્કો બારાખડીમાં આવા શબ્દો આમે ય વધુ ગમતા. જોડણીની જફા નહિ….ઘરકામ (એમાય ઘર!) માં ૫ શબ્દો અપાય તો દસ લખાઈ જાય! ઉચ્ચારણમાં સીધું સટ. આજે ય ગમે છે. (એટલે? ઓયે મારી અને મારા કરતા તો તમારી કમનસીબી છે કે હું હજીય એટલો બાળક નથી…વાંચો આગળ) એ વખતે અક્ષરો ગમતા, આજે એનો અર્થ ગમે છે.

મારા મતે, આ બે અક્ષરો વડે બનેલા શબ્દના અર્થને પામવું, કદાચ પ્રત્યેક પુખ્ત વ્યક્તિની એક માત્ર ચાહના હશે. ઘર….. ધરતીનો છેડો ઘર… અથવા તો ધરતી જ્યાંથી શરુ થાય એ પ્રારંભ એટલે ઘર. એક એવું સ્થળ જ્યાં સામાજિક પ્રાણી નામે માનવી… સહજ પણે, સાદી ભાષામાં કહું તો…. જંગલની જેમ વર્તી શકે એવી જગ્યા એટલે ઘર! વ્યક્તિ જેને પોતાનું ઘર સમજી શકે, એ જગ્યા એને માટે આખા જગત જેવું જ હોય છે.

ફાવે તેમ કરી શકે, ઈચ્છે તેમ ચરી શકે, ભલે ને ન આવડે…. છતાય ગાઈ શકે, નાચી શકે. જાતની મર્યાદા બાજુમાં મૂકી, એ જ મર્યાદા પર કાબુ મેળવવા પ્રયત્નો કરી શકે, ઇન શોર્ટ, દિલ ફાડીને જાતને જીવી શકે. એવી જગ્યા એટલે ઘર. ઘર જ એની ધરતી અને આ સઘળી લાગણીઓ, ખુશીઓ, ગમો, દુ:ખો, વેદનાઓ આંસુઓ, ધડકનો… પ્રત્યેક જીવતી પળોની લેહરાતી મોહલાતનો એક માત્ર રણી ધણી એ પોતે!

ભીનો ટુવાલ સૂકવ્યો ન હોય, પેપરના પાના પંખાની હવા સાથે તાલમાં આવી ઉડતા હોય, દાઢીનો સામાન ધોયા વિનાનો બેઝીંગ શોભાવતો હોય, મ્યુઝીક સીસ્ટમ કોક’દી દેવકીની બકબક તો કોક’દી ગાયત્રી મંત્ર સંભળાવતું હોય, રસોઈ માંથી મનગમતા પકવાનની ખુશ્બુ આવતી હોય, વાતો તાડુકાથી નહી, લાગણીથી થતી હોય, થોડી ઘણી ધમાલ મસ્તી, ધીંગા મસ્તી, અવળ ચંડાઇ, કેટલાક હ્યુમર મિશ્રિત કટાક્ષો, કેટલીક દર્દભરી કબુલાતો, અસંખ્ય વેદનાઓ અને એમાંથી ઉભરવા માટેના પ્રયત્નો, કોઈ પણ પરિસ્થિતિમાં સાથે રહેવાના પ્રયાસો…. આ બધું એક મકાનને જીવંત બનાવે છે, ઘર બનાવે છે…

કેટલાક પરિવારમાં શિસ્ત અને શિષ્ટ બંનેનો ખાસ્સો એવો આગ્રહ જોવા મળે છે. રાખવો જોઈએ ખોટું નથી….આમ બેસો, આમ સુઓ, આમ કરો, આમ ન કરો….  ઉફ્ફ્ફ્ફ! આ તો ઘર છે, ભૈ મ્યુઝીયમ થોડી છે! મમી તો કબરોમાં શોભે ઘરમાં નહિ. ઇન શોર્ટ…. અહી તો જીવંત હોવાનું છે! અને એટલે જ કદાચ એણે ઘર કહેવાય છે! વાસ્તવમાં જ્યાં પૂરી ચાર દીવાલો પણ ન હોય એ જગ્યા કોઈકનું ઘર હોય છે અને ચાળીશ દીવાલો વાળા બંગલા કે ચારસો દીવાલો વાળા મહેલો પણ, કોઈકના મકબરા થી વિશેષ નથી બની શકતા. તો આ ઘર એટલે શું? એની સાચી વ્યાખ્યા પાયાની શરત શું?

મારા હિસાબે (હાસ્તો બ્લોગ મારો, મેહનત મારી, વિચાર મારા, શબ્દો મારા, તો હિસાબે ય મારો જ ને !) ઘર એટલે એક એવું સ્થળ જ્યાં એક નાનકડું પરિવાર ધબકતું હોય, શ્વાસ લેતું હોય, જીવતું હોય. ભલે ને એ પછી પાકું તો શું ઇવન નળિયા કે છાપરા વિનાનું બસ માત્ર ફૂટપાથને ટેકે તાડપત્રીની આડશમાં બનાવેલું, ટાઢ તાપ કે વરસાદી વાછટથી બચવા, માત્ર ચૂલો સળગી શકે અને ત્રણેક વ્યક્તિ સાથે બેસીને જમી શકે અને પછી સફાઈ કરી એજ જગ્યાને સુવાના ઉપયોગમાં લેવાય એવું…..કોઈક શ્રમિકનું આશ્રય સ્થાન કેમ ન હોય!

યેસ, સાથે બેસીને જમી શકાય એવી જગ્યા એટલે ઘર……

(સોરી યાર, એક લીટી સમજાવવા આટલી લાંબી ખેંચી એ બદલ…)
Image

~એજ તન્મય..!